સો પૂરાં ને માથે એક
માત્ર કથા વાંચી,તમે પણ વાંચજો,ચોક્કસ વાંચજો.
“ભાઈ હાથમાં કેમેરો ખરો, ઇનાથી ચહેરા કેમેરામાં આવે,પણ ઇ વાંચવા તો લાગણી જોયે લાગણી. એક માં નો વલોપાત હંધાયને નો હમજાય.”
“જો સંતાનો સંબંધ પર કાતર મૂકે તો મા - બાપે શા માટે કોહવાતા અને ગંધાતા સંબંધ ને વળગી રહેવું જોઈએ”
ઉપરનાં બે અવતરણો જ શ્રી પ્રફુલભાઈ શાહ નાં “સો પૂરાં ને માથે એક” પુસ્તક વાંચવા મજબૂર કરવા પૂરતાં છે.
ઘણી વાર કોઈક માટીમાં જ એવી સોડમ હોય છે કે એ માટીનો માનવી ક્યાંય પણ જાય તો એની સોડમ પણ સાથે લેતો જાય. મૂળ રાજવી કવિ કલાપીના ગામ લાઠીની માટીની સોડમ, મુંબઈ રહેતા હોવા છતાં પણ, શ્રી પ્રફુલભાઈ શાહની કલમમાં અનુભવાય છે. જુદી જુદી પાંચ ભાષામાં જેની બુક્સ આવી ગઈ છે એવા પ્રફુલભાઈ ના પુસ્તકોની સંખ્યા અડધી સદી સુધી પહોંચવા આવી છે અને તે જ તેમની કલમની તાકાત દર્શાવે છે. પુસ્તક લેખન ઉપરાંત વેબ સિરીઝ,-ફિલ્મ-ટીવી સીરીયલ-ડ્રામા રાઇટિંગ,કોલમ લેખન જેવી ઘણી બાબત સાથે તેઓ સંકળાયેલા છે.વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલભાઈ ની ‘દ્રશ્યમ અદ્રશ્યમ’, ’અગ્નિજા’, 'દાદલો’, ‘લાઇફ IM પોસિબલ’ અને ‘કચ્છ ફાઈલ’ બાદ ‘સો પૂરાં ને માથે એક’.પણ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. પુસ્તક પ્રકાશન પણ જયારે આ ક્ષેત્ર ની જૂની અને જાણીતી પ્રતિષ્ઠત એવી નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ દ્વારા થતું હોય ત્યારે તેનું મહત્વ ખૂબ વધી જાય છે.
‘સો પૂરાં ને માથે એક’ એ સુરેન્દ્રનગર ના લીંબડીના ચોરણીયા ગામની સત્ય ઘટના આધારિત એક સંવેદનશીલ ક્રાંતિ ઉજાગર કરે છે.1500 ની વસ્તી ધરાવતા આ ગામની ગ્રામ પંચાયત 2006 માં એક ઠરાવ કરે છે કે ગામના કોઈ પરિવારે પોતાનાં વૃદ્ધ માતાપિતાને તરછોડવાં નહીં,પણ જો કોઈ દીકરો માતા-પિતાને તરછોડશે – પીડા આપશે તો તેને ગામની બહાર કાઢી મૂકવો : સીધો સામાજિક બહિષ્કાર.એક પત્રકાર કમ લેખક ની ચકોર નજર છાપાંના એક ખૂણે આવેલા સમાચાર પડે છે અને એમાંથી આપણે મળે છે આ પુસ્તક.
વધુ એક હૃદયસ્પર્શી અવતરણ
'કારણ કે કાકી માને છે કે કામ કરવા વાળા વાતો કરતા નથી અને વાતો કરવાવાળા ક્યારેય કામ કરતા નથી.'
આ પુસ્તકમાં એટલી બધી સંવેદનશીલતા ભરી છે કે વાંચતી વખતે ડગલે ને પગલે આંખો છલકાયા વિના રહેતી નથી.એક નાના એવા ગામનો સરપંચ ધારે તો શું કરી શકે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ચોરણીયા ગામના સરપંચ શ્રી હર્ષદભાઈ ગામી. ‘સો પૂરાં ને માથે એક’ માં નાના એવા ગામનો વહીવટ,ગામનું રાજકારણ,લોકોને મળતી અપૂરતી સુવિધાઓ,વેપારીઓ દ્વારા ખેડૂતોના શોષણના પ્રયાસો સહીત સ્વાર્થી ઉદ્યોગપતિઓ કેવી રીતે અંગત સ્વાર્થ ખાતર ગ્રામ્ય પ્રજાને છેતરતા હોય છે તેનું ચિત્રણ પણ ખૂબ જ સારી રીતે કર્યું છે.વસ્તીમાં પચાસ ટકા હિસ્સો ધરાવતી સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે તેનું આબેહૂબ વર્ણન પુસ્તકમાં જોઈ શકાય છે.ભલે ભણેલી ઓછું પણ ગણેલી વધારે એવી ગામડાની પ્રજા પણ શહેરના લોકોની આંખ ઉઘાડવા નિમિત બને છે તેનું સચોટ ઉદાહરણ એટલે પ્રફુલભાઈ શાહની ‘સો પૂરાં ને માથે એક’.
ટૂંકું ને ટચ Must Must Read.
રાહુલ વોરા – ગાંધીધામ કચ્છ