જે કાવ્યને કેન્દ્રમાં રાખી આ સંગ્રહનું નામ અપાયું છે તે 'દીવડા' કાવ્યમાં બાળક કહે છે:
“આકાશેથી ઊતરી આવ્યાં ચંદ્ર....સૂરજ ને તારા દીવડાં બની સાથે બાળક તો ખરું જ, સાથ સંગ્રહની વિશેષતા એ છે કે અહીં નવા દૃષ્ટિબિંદુવાળી રચનાઓ પ્રાપ્ત થાય છે. ઉદા. ‘શાકભાજીની દિવાળી’, ‘ફૂલોની વાડીઓ’, ‘મારી રંગોળી’, ‘સંગીતની મહેફિલ', ‘મમ્મીની રસોઈ', 'કાગડાએ કજિયો કીધો’ વગેરે… આજનું બાળક સાંપ્રત સમયમાં આવેલ વીજઉપકરણોથી પરિચિત છે ને તેથી કૂકર કે વોશિંગમશીનની ઉપયોગિતાની તેને ખબર છે તેથી જ તે કહી શકે છે કે, મમ્મીને આ બધાં સાધનોથી કેટલી બધી રાહત મળી છે! ને મમ્મીની વાત આવે એટલે મમ્મી બનાવતી પોષક વાનગીની વાત પણ આવે જ ને તેથી અહીં 'શીરો' પર ને શિયાળાના 'વસાણા'ની કવિતા પણ મળે. એ જ રીતે સાંપ્રત સમયનું બાળક 'ભગવાનને વૉટ્સએપ' કરે તે પણ સહજ લાગે છે. બીજી બાજુ આ જ બાળક 'આ વાત કદી ના ભુલાય* દ્વારા સારા નાગરિક બનવા શું શું ના કરવું જોઈએ તે પણ સમજાવે છે.
“પાનની પિચકારી કદી ના મરાય... રસ્તામાં જ્યાં ત્યાં કદી ના થુંકાય..."
આજનું બાળક જો આ રીતે વિચારતું હોય તો જરૂર માની શકાય કે 'સ્વચ્છ ભારત'નું જે અભિયાન શરૂ થયું છે તે જરૂર સફળ થશે જ. અહીં બાળક એટલું સજાગ છે કે તે પિતા સાથે જઈ ટ્રાફિકના નિયમોની જાણકારી પણ મેળવે છે! 'કાગડાએ કજિયો કીધો' માં કજિયાળા કાગડાએ ચકલીને, મોરને, કોયલ ને કબૂતરને કેવી રીતે હેરાન કર્યા તેની વાત દ્વારા કજિયાની અનેક રીતો દર્શાવી છે. ને પછી ગરુડજી કાગડાને સમજાવે છે તેમાં તો કવયિત્રીએ માણસ માત્રને બહુ સરસ રીતે ઠપકો આપ્યો છે. હવે 'કજિયાનું મોં કાળું' કહેનાર માણસે પોતાનું મોં કાળું કરવું કે શુભ-પ્રસન્ન રાખવું તે તેણે જાતે નક્કી કરવાનું છે.
બાળકને તો રેતીના ઢગલામાં પગ નાખીને 'ઘર-ઘર' રમવું ગમે. અહીં બાળકને રમતાં રમતાં પાંચ કોડી મળે છે ને તે તરત જ 'ગજવા'માં મૂકી દે છે. શા માટે? પોતાના માટે? ના. પહેલી કોડી પ્રભુજીની; બીજી સૂરજદાદાની; ત્રીજી મમ્મી-પપ્પાની; ચોથી વહાલી બહેનની ને બસ માત્ર એક જ કોડી તે ગલ્લામાં સાચવી રાખશે. આમ, વહેંચશે વધુ, પણ થોડું સાચવશે પણ. આ આખી માનસિકતાના આલેખન દ્વારા ભાવકને એક સુંદર સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.