માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે... એ બફારો, એ ઘામ આપણને અનુભૂતિ કરાવે છે કે હવે વરસાદ આવશે. કોઈ એક વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે એની ગેરહાજરીમાં થતી અકળામણ કે ઘામ મિલનના વરસાદ પહેલાંની ક્ષણો છે. આપણે બધા જ મેઘધનુષ્યના પૂજારી છીએ. મૃગજળને વખોડવાની આપણને ટેવ પડી ગઈ છે, પરંતુ જો રણ ન હોત તો લીલોતરીની મજાની આપણને કોઈ દિવસ ખબર પડી હોત ખરી? લાગણીના સંબંધોમાં ઉતાર-ચઢાવ તો આવવા જ જોઈએ. ક્યારેક કોરુંધાકોર પડી જતું મન ને ક્યારેક મુશળધાર વરસતું ચોમાસું એ મનની બદલાતી મોસમનાં પ્રતીક છે. સતત સુખ જ સુખ મળ્યા કરે તો સુખ પણ કદાચ અબખે પડી જાય એવું બને.
[ પુસ્તકના ‘મેઘધનુષ્ય અને મૃગજળ : બેઉ સરખા છે.’ લેખમાંથી ]