અર્ચના ભટ્ટ-પટેલ બહુમુખી પ્રતિભા ધરાવે છે. કલાકીય વાતાવરણમાં એમનો ઉછેર થયો છે. બાળપણથી સાહિત્ય અને નાટકને સેવ્યું છે. અનેક સિરિયલ અને ફિલ્મમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. પછી તેઓ ધીરે ધીરે શબ્દ તરફ વળ્યાં. અર્ચનાબહેન વાર્તામાં વધુ નિખરે છે. લેખમાં વિવિધ વિષયને સ્પર્શ કરે છે. જીવાતાં જીવનના વિષયોમાં વિહરવાનું એમને ગમે છે. કેટલાક લેખમાં કરેલા અંગૂલીનિર્દેશ સાથે આપણે સંપૂર્ણ સંમત થઈએ. ચિંતનાત્મક લેખોમાં કેટલાક નવા અધ્યાય ખોલી આપે છે. એમના અનુભવનો અર્ક પૃષ્ઠો પર પડઘાય છે. ‘મનોમંથન’માં અનેક તર્ક તણખા અને વિચારોનો વિહાર છે, જે વાચકને આંગળી પકડી એક નવી દુનિયામાં પ્રવેશ કરાવશે.
– હરદ્વાર ગોસ્વામી