કેટલીક ઘટનાઓ ચિત્તમાં ચોંટી જતી હોય છે અને પછી કાળક્રમે તે કથા સ્વરૂપે જન્મ લેતી હોય છે. પીડા હોય કે પ્રીત, એ ગમતા લોકો સાથે સમયસર વહેંચી લેવી જરૂરી હોય છે અને એટલે જ આ કથા સ્વરૂપે હું મારી પીડા અને પ્રેમ વહેંચવા નીકળ્યો છું. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, આ આપણી વાર્તા છે. આપણા જણની વાર્તા છે.
દુઃખમાં હોઈએ ત્યારે હંમેશાં વાર્તા મદદ કરે છે. લખેલી, કહેલી અને સાંભળેલી વાર્તાઓ જ આપણું હીલિંગ કરે છે. આપણને રાહત આપે છે. અસ્વસ્થ કરી નાખે એવું જે કાંઈ બન્યું છે, એ કોઈને કહી દેવાથી કથા નથી બદલાતી. કથાકાર બદલાય છે, જેને લખ્યા પછી હું બદલાયો છું, આ એવી એક કથા છે.
છેલ્લા બે વર્ષથી મારી અંદર ઊછરી રહેલી આ કથાએ મને એક ‘wide emotional spectrum’ બતાવ્યું છે. પ્રેમ, પીડા અને ભાવનાઓના ઘોડાપુરમાં વહી ગયેલી જાતે, જીદ કરીને મારી પાસે આ કથા લખાવી છે. આ કથા સાથે હું એટલો બધો જોડાઈ ચૂક્યો છું કે એના પાત્રો હવે મને વાસ્તવિક લાગે છે. લાખી અને રઘલા સાથે હું વાતો કરું છું. એમની પીડા અનુભવી શકું છું. એમની વાર્તા કહેતી વખતે મારી આંખો ભીની થઈ જાય છે.
કાલ્પનિક પાત્રોની પીડા અનુભવી શકીએ, શું એને જ સંવેદનશીલતા કહેવાતી હશે ? મને નથી ખબર, પણ હું ઇચ્છું છું કે લાખી અને રઘલાની યાત્રામાં તમે પણ સહભાગી બનો. કારણ કે લાખી અને રઘલો એક એવી પીડા અને પ્રેમના પ્રતિનિધિ છે, જે આપણે અને આપણી આસપાસના હજારો લોકો જીવી ચૂક્યા છે.
આ કથામાં મારું ઘણુંબધું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. આ પુસ્તક વાંચતી વખતે મારા એ ઇમોશન્સ તમે અનુભવી શકો તો બસ, એ જ મારા રિટર્ન્સ છે.
— ડૉ. નિમિત્ત ઓઝા