નવલકથા… લેખનનો પૂર્ણ આયામ છે. પાત્રોમાં પોતાના જીવનને ઓગાળીને આત્મવિશ્વાસનો હવાફેર કરવાનો હોય છે. એના વાંચન અને લેખનમાં ધૈર્યનો કસબ છે. કસબના આ વૈભવને રસહીન થયા વગર લેખકે અંત સુધી નિભાવવાનો છે. ‘મોહિની’ આવી કથાનું જીવંત નક્ષત્ર છે. ગામડામાંથી શહેર સુધીનો એનો બદલાવ… ગામડાંના કુદરતી દૃશ્યો, એના ફોટા પાડતા હતા એ રૂઆબ અને ફૅશન ડિઝાઇનિંગ વખતે કૅમેરાની ઝાકઝમાળ વચ્ચે આ નવલકથા વળાંકો અને આશ્ચર્યોનો મેળો સર્જે છે. આ નવલકથા મહામારી પછીના બદલાયેલા સ્વભાવનું સીમાચિહ્ન છે. અહીંયા લાગણી ૨.૦ સાથે અનલૉક છે.
અપૂર્વ શાહે બખૂબી એને નિભાવી છે. એમનો પહેલો પ્રયત્ન ભલે લાગે પણ કંઈક યુગોથી ઘૂંટાયેલી — ધરબાયેલી કડીની અહીંયા ગેડ મળે છે. કાગળને પણ પોતાનું ‘હોવું’ સાર્થક થઈ જાય એવી મજા પડતી લાગે છે! શિક્ષણ સાથે ઘરોબો કેળવતા અપૂર્વભાઈ, કેળવણીકાર અહીંયા પણ અભ્યાસની વિશેષતાને મૂલવે છે. ગુજરાતી ભાષામાં કોઈ ભાવક કશું પણ લખે એ મારે મન ઉત્સવ જ છે. એમાંય ‘મોહિની'એ તો ખરેખર મન મોહી લીધું છે. નવલકથાનો આ અદકેરો વિષય ભાવકોને પોતાના જીવનની નજીક રાખશે એવી મને શ્રદ્ધા છે. જીવનને અરીસા વગર જોવાની ઇચ્છા થાય ત્યારે સાહિત્ય કામ લાગે છે. નવલકથા એનું મોરપીંછ છે.
અપૂર્વ શાહનું બાઅદબ સ્વાગત છે.
— અંકિત ત્રિવેદી