'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.